
દુનિયામાં અનેક પ્રકારના દર્દોથી માણસો પીડાય છે; પણ તે તમામ દર્દોમાં કોઈ સ્નેહીઓની સહાનુભૂતિ મળે કે હુંફાળી હમદર્દી મળે, તો તે દર્દમાંથી માણસ બમણી ગતિથી બેઠો થાય. પણ કોઈ ફ્રેક્ચરના દર્દીને ટેમ્પરરી આપેલ લાકડીનો ટેકો તે ક્યારેય છોડે જ નહિ તો આજીવન પગભર ચાલી ન શકે, તેમ કોઈના તરફથી મળતી સહાનુભૂતિ અને સરભરાની આદત પડવા લાગે ત્યારે તે હમદર્દી જ એક વિચિત્ર પ્રકારના દર્દને જન્માવે છે; જે વ્યક્તિને હંમેશાં બિચારાપણાના બોજમાં જ દબાવેલો રાખે છે. આવો જ એક બિચારો એટલે સત્યમ...
૨૮ વર્ષનો આ યુવક નાનપણથી સામાન્ય કુટુંબમાં ઉછરેલો, પણ દયાના દુરુપયોગની આદત પહેલેથી. કોઈ પણ મુશ્કેલીમાં મુકાય એટલે ગરીબડો ચહેરો અને સુંદર બહાનું તૈયાર જ હોય.
સ્કૂલે લેશન કર્યા વિના મોડો પહોંચે તો શિક્ષક પાસે, “મારા ઘરે વીજળી નથી, મારે રાત્રે ભણવું મુશ્કેલ છે.” આમ કહીને છૂટી જતો.
પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો, “મારા પિતાજી બીમાર છે, માટે વાંચવા માટે સમય જ નથી મળતો.”
નોકરી ન મળે તો, “આજકાલ કોમ્પિટિશન જ બહુ છે. આપણો નંબર લાગે એવું લાગતું જ નથી.”
આમ, સત્યમ જેને તેને પોતાની વ્યથાઓ સંભળાવ્યા કરતો. અને લોકો પણ તેને બિચારો સમજીને શરૂઆતમાં થોડી થોડી મદદ કરવા લાગ્યા. મહેનત વિના મળતી આ મદદ સત્યમને મીઠી લાગતી. અને ખરેખર જ્યાં તે સંઘર્ષ કરી સફળ થઈ શકે તેમ હતો ત્યાં પણ આ સહાનુભૂતિની લતને કારણે ઓશિયાળો થઈ બેસી રહેતો. ધીરેધીરે લોકોને તેની મુરાદનો ખ્યાલ આવતાં તેનાથી કંટાળી ભાગતા.
એક દિવસ સત્યમની માતા ખૂબ બીમાર પડી. ડોક્ટરે કહ્યું કે, “તેને તુરંત સારવારની જરૂર છે, નહિ તો જીવ જોખમાઈ શકે.” સત્યમ એકદમ ગભરાયો, “હું શું કરીશ ? મારી પાસે તો એક પૈસો નથી. કોણ મારી મદદ કરશે ?” જેની પાસે મદદ માંગે તે સહાનુભૂતિ આપી છૂટી જતા. છેવટે સત્યમ એક જૂના મિત્ર આનંદ પાસે મદદ માંગવા ગયો, પણ આનંદ તેની નબળાઈ સારી રીતે જાણતો હતો. તેણે સત્યમને સહાનુભૂતિના શબ્દોને બદલે સખત સત્ય જ કહી દીધું.
આનંદ : સત્યમ, તું હંમેશાં તારી જાતને બિચારો બતાવ્યા કરે છે, પણ એ તારા માટે જ ખતરનાક છે. તારે સહાનુભૂતિ નહિ, જવાબદારી લેવાની જરૂર છે.
સત્યમ : પણ યાર, મારી સિચ્યુએશનને કાંઈક તો સમજ. મારી કિસ્મત જ ખરાબ છે. હું શું કરું ?
આનંદ : બસ, આ જ વાક્ય તને બરબાદ કરી રહ્યું છે. જો હવે તું સહાનુભૂતિ લેવાનું બંધ કરી જવાબદારી લેતા નહિ શીખે, તો યાદ રાખજે એક દિવસ તારી સાથે કોઈ જ નહિ હોય.
સત્યમ માટે આ ઝટકો એક ભૂકંપ જેવો હતો. શું હું ખોટી દિશામાં ચાલતો હતો ? મારી સાથે કોઈ નહિ હોય ? જો સહાનુભૂતિ શોધવાનું હું છોડી દઉં તો ? જો હું જવાબદારી લેવા લાગું તો ? આવા અનેક વિચારોથી સત્યમ રાતભર જાગતો રહ્યો અને સવાર પડતાં જ એણે નિર્ણય લીધો.
બસ, આ નિર્ણયે તેના કિસ્મતનો તારો ચમકાવી દીધો. બે મહિના બાદ સત્યમને સારી નોકરી મળી. અને પોતાની માતાના તમામ મેડિકલ બિલ્સ ચૂકવી દીધા. તેની માતા બચી ગઈ અને તેનાથીયે મોટી વાત તેની સહાનુભૂતિની લત છૂટી ગઈ.
ખરેખર સહાનુભૂતિ લેવી કે દેવી તે કોઈ ખરાબ વસ્તુ નથી. તમે થાકીને ઘરે આવો ત્યારે કોઈ સહાનુભૂતિના શબ્દો કહે તો થાક ઊતરી જાય, કોઈ નવા કાર્યની શરૂઆતમાં પ્રોત્સાહન આપવા બળ ભર્યા બે શબ્દો કહે તો હિંમત આવી જાય, મૂંઝવણ વખતે કોઈ એટલું જ કહે કે, “ચિંતા ના કરતા; મહારાજ, પૂ.ગુરુજી અને સંતો-ભક્તો સાથે છે ને...” તો તરત હળવા થઈ જવાય. આમ, સહાનુભૂતિ માણસને પ્રસન્ન રહેવામાં ખૂબ જરૂરી છે. એકબીજાની લાગણી અને પ્રેમના કારણે જ માણસ આનંદમાં રહી શકે છે.
જેમ કોઈની લાગણીને નહિ સમજનારો માણસ ઘણો ક્રૂર અને વિકૃત બની જાય છે, તેવી જ રીતે કોઈની હમદર્દી ઉપર જ નિર્ભર રહેનારો અત્યંત નિર્બળ અને બોજરૂપ બની જાય છે. પછી ધીરેધીરે સૌ તેનાથી કંટાળી દૂર રહેવા ઇચ્છે છે. અને તે વ્યક્તિ પણ, “કોઈ મને બોલાવતું નથી.” “મારી સાથે વાત કરવા તૈયાર નથી.” “મારા જેવાનું કોણ ?” આવી અપેક્ષાઓથી સતત પીડાય છે. અને અંતે સહાનુભૂતિના સકંજામાં ફસાઈને ઘણી વાર ડિપ્રેશનનો પણ શિકાર બને છે.
વ્યક્તિને હમદર્દીની હેબિટ થવાનાં મુખ્યત્વે ત્રણ કારણો છે.
જો વ્યક્તિ વિચારે કે, “ક્યાં સુધી હું કોઈની સહાનુભૂતિના સહારે જીવીશ ? અને ક્યાં સુધી કોઈ મને તે આપશે ? હવે તો હું જ મારી જવાબદારી નિભાવીશ. હું જ મને સુધારીશ અને હું જ સૌને સુખરૂપ થઈને જીવીશ.” તો તે અણધાર્યું પરિવર્તન, અણધારી પ્રગતિ અને અણધારી પ્રાપ્તિને પામે જ.
સ્વજનો પાસેથી મળતી સહાનુભૂતિના સહારે જીવનમાં આવતા સંઘર્ષોને સહર્ષ સ્વીકારી; તેમાં હિંમત રાખી આગળ વધતા રહીએ અને સૌને સુખરૂપ થવા સ્વબદલાવની તૈયારી કરીએ, તો તે સહાનુભૂતિનો સદુપયોગ કર્યો ગણાય; નહિતર હમદર્દી કે હમ ભી દર્દી...!?