
થોડા વર્ષો પહેલાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેનારો વિદ્યાર્થી ધોરણ ૧૦માં મહારાષ્ટ્ર ફર્સ્ટ આવતા ખૂબ ચમક્યો. અને એક મોટી કંપનીના માલિકે તેને ભણાવવા માટે દત્તક લીધો. તેને ભણવા માટે પોતાના બંગલામાં જ સારી સુવિધાવાળો રૂમ આપ્યો. પરિણામ એ આવ્યું કે બે વર્ષ પછી ૧૨ બોર્ડમાં તે ફેલ થયો. ઝૂંપડપટ્ટીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે વાંચીને તે જે રીઝલ્ટ સિદ્ધ કરી શક્યો, તે સંપૂર્ણ સુવિધાવાળો બંગલો મળ્યા પછી પણ ન કરી શક્યો. તેની પાછળનું રહસ્ય પ્રસિદ્ધિ.....
મગ્નીરામ ખૂબ જ મુમુક્ષુ હતા. ભગવાનને પ્રાપ્ત કરવા જ નીકળ્યા હતા. અને દેવીની ઉપાસના કરતાં કરતાં તેમને સિદ્ધિઓ પ્રાપ્ત થવા લાગી. શરૂઆતમાં તો કોઈ તેમને ગાળ દે કે અપમાન કરે તે સહન કરી લેતા, પરંતુ એકવાર કોઈ અધર્મીઓએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો ત્યારે તેમનાથી પણ સામે પ્રયોગ થઈ ગયો. પરિણામે તે જીત્યા અને સૌએ તેમને ખૂબ જ વખાણ્યા. ત્યારપછી જે સિદ્ધિઓ અધર્મીને દંડ દેવા વાપરતા તે ધીરેધીરે પોતાનું વર્ચસ્વ વધારવા વાપરવા લાગ્યા. હવે જે પોતાનું ન માને તેને ઉલાળતા. આ રીતે બળજબરીથી હજાર જેટલા શિષ્યો પણ કર્યા; પણ ભગવાનને પામવાની ઇચ્છા હતી તો માંગરોળમાં મહારાજે તેમનું અભિમાન ઉતાર્યું અને છેવટે પોતાના સંત કરી અદ્વૈતાનંદ નામ પાડયું.
મગ્નીરામ પાસે સિદ્ધિ તો હતી, પણ જેવી પ્રસિદ્ધિ મળી તેવી બુદ્ધિ વિપરીત થવા લાગી. અને પોતાના આત્માની શુદ્ધિ અને વૃદ્ધિનું કામ સાવ વિસારે પડયું.