
એક ગામમાં બે ખાસ મિત્રો રહેતા હતા. અવારનવાર બંને ગામબહાર ફરવા માટે નીકળતા. એક વખત તેઓ બંને ફરવા માટે નીકળ્યા. રસ્તામાં બંને વચ્ચે કોઈક બાબતની ચર્ચાને લઈને બોલાચાલી થઈ અને એક મિત્રે ગુસ્સામાં આવીને બીજા મિત્રના ગાલ પર એક તમાચો મારી દીધો. એ મિત્ર ખૂબ દુ:ખી થયો, પરંતુ કંઈ જ ન બોલ્યો. બસ, ત્યાં રેતી હતી એ રેતી પર એણે લખ્યું, “આજે મારા પ્રિય મિત્રે મને તમાચા માર્યો.”
બંને ફરીથી આગળ વધ્યા. રસ્તામાં એક બહુ જ સરસ મજાની નદી આવી. બંનેને નદીમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ એટલે બંને નહાવા માટે નદીમાં પડ્યા. અચાનક ઉપરવાસના વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું અને જે મિત્રને દુ:ખ લાગ્યું હતું એ પાણીમાં તણાવા લાગ્યો. તરત જ જે મિત્રે થોડીવાર પહેલા તમાચો માર્યો હતો તેણે જ જાનના જોખમે નદીના પૂરમાં પડીને પોતાના મિત્રને ખેંચીને નદીની બહાર કાઢ્યો અને મિત્રનું જીવન બચાવ્યું.
નદીના કાંઠા પર મોટા મોટા પથ્થરો હતા. પાણીમાં ડૂબતા બચેલો પેલો મિત્ર એ પથ્થર પાસે ગયો અને તેણે હાથમાં બીજો નાનો પથ્થર લઈને એક મોટા પથ્થર પર કોતરીને લખ્યું, “આજે મારા પ્રિય મિત્રે મારું જીવન બચાવ્યું.”
એના મિત્રને આ કંઈ સમજાયું નહીં, એટલે એણે પોતાના આ મિત્રને પૂછ્યું, “મેં જ્યારે તને તમાચો માર્યો તો તેં એ રેતી પર લખ્યું અને જ્યારે મેં તારું જીવન બચાવ્યું તો તેં એ પથ્થર પર લખ્યું. આવું કેમ ?”
પેલા મિત્રએ હસતાં હસતાં જવાબ આપ્યો, “જ્યારે કોઈ તમારી લાગણીને ઠેસ પહોંચાડે ત્યારે એ રેતી પર લખી રાખવું. જેથી ક્ષમાનો પવન એને ભૂંસી નાંખે અને જ્યારે કોઈ તમારા માટે કંઈક સારું કામ કરે ત્યારે એ પથ્થર પર લખી રાખવું, જેથી જીવનભર એ યાદ રહે અને એ માણસના આપણે સદાયના ઋણી રહીએ.”
વહાલા ભક્તો ! આપણે પણ આ સમાજમાં જ જીવન જીવીએ છીએ. આપણી સાથે અનેક પાત્રો સ્નેહ, લાગણી અને મમત્વના ભાવથી જોડાયેલા હોય છે. જેવા કે ગુરુ, માતા, પિતા, પુત્ર, ભાઈ, બહેન, પતિ, પત્ની વગેરે વગેરે.
જીવનની ઘટમાળમાં અવારનવાર અનેક ગમતા કે અણગમતા બનાવો બનતા રહે છે. જ્યારે આપણી લાગણીને ઠેંસ પહોંચે એવું કાંઈક બને ત્યારે આપણે તેની બહુ ઊંડી નોંધ લઈએ છીએ; પરંતુ સામેના પાત્રે આપણા જીવનમાં અનેક વાર અકારણ-નિ:સ્વાર્થ ઉપકારો કરેલા હોય છે, તેની ઊંડી નોંધ આપણે લેતા નથી અને નાનકડા બનાવોને બહુ મોટા માનીને દુ:ખી થઈએ છીએ.
વહાલા ભક્તો ! જો સમજી વિચારીને સામેનાની આપણા પરત્વેની લાગણીને ધ્યાનમાં લઈને, એમના આપણી ઉપર કરેલા ઉપકારોને આપણા હૃદયરૂપી પથ્થર પર કોતરીને લખી રાખીએ, તો જીવનભર એ યાદ રહેશે અને આપણું જીવન સુખરૂપ બની જશે.
યાદ રાખો ! આપણે આપણા સ્વભાવને વશ થઈને આપણી સાથે લાગણી અને મમત્વથી જોડાયેલા કોઈ પણ નાના-મોટા પાત્રોની સાથે એવાં વાણી-વર્તન ન કરીએ કે જેથી તેઓનાં દિલ તૂટી જાય.