બાળકોના સંસ્કારમાં માતા - પિતાની ફરજ...

બાળકોના સંસ્કારમાં માતા - પિતાની ફરજ...

બાળક ને પોતાને માટે શું સારું છે અને શું ખરાબ છે તેની સૌપ્રથમ સમજ બાળકને માતા-પિતાના વાણી વર્તનથી જાણવા મળે છે. જો સંતાનોને શ્રેષ્ઠ, આદર્શ સારા સંસ્કારવાળા બનાવવા હોય તો માતા-પિતાએ પોતે પહેલા શ્રેષ્ઠ આદર્શ પાત્ર બનવું જરૂરી છે. વાલીના વાણી-વર્તન જેવા હોય તે પ્રમાણેના વિચારો બાળકના મગજમાં આવે છે. 'જેવું ચિંતન એવું જીવન' અને બાળક ભવિષ્યમાં તેવા જ બને છે. આપણા ઉપદેશની અસર 10% અને વર્તનની અસર 90% થતી હોય છે માટે આપણે જેવું વર્તન કરીશું તેવું જ બાળક થશે.

આ અંગે વાલીથી થતી ભૂલો તથા તેની અસરો

ભૂલ: 1
વાલીઓ એવું માને છે કે બાળક નાનું છે. તેને આમાં શું ખબર પડે ? એ તો રમે છે, સૂતું છે, તેનું ધ્યાન બીજે છે. પરંતુ એ આપણી બહુ મોટી ગેરસમજ છે. કારણકે તેનું માઈન્ડ વિડીયોની જેમ સતત રેકોર્ડિંગ કર્યા જ કરતું હોય છે.

ભૂલ: 2
ઘરમાં પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ કે અન્ય સભ્યો વચ્ચે મનમેળ ન હોવાથી તેઓ અવાર-નવાર જાહેરમાં જ બાળકની હાજરીમાં વાદ વિવાદ અને ઝઘડા કર્યા કરે છે.

અસર:

    1. બાળકને તેમનો અભાવ આવે છે, ભાર રહેતો નથી. જાણે-અજાણે લાગણી ઘટે છે અને નફરત કરે છે. છેવટે સંતાન વાલીઓથી દૂર રહેવા ઈચ્છે છે.
    2. સંતાન એવું માનવા લાગે છે કે, 'આવું મારે પણ કરાય.' પરિણામે વાલીઓની કુટેવ, સ્વભાવ, નબળાઈ કે દોષ સંતાનમાં પણ પ્રવર્તી જાય છે. એટલે કે, આપણા દોષો અને દુઃખો આપણી પેઢીને આપણે જ આપી રહ્યા છીએ.

ભૂલ: 3
વાલીઓ બાળકોની હાજરીમાં કુટુંબના કે સંપ્રદાયના કજિયા-કંકાસની વાતો કરે. સંતો-ભક્તોની નિંદા કરે.

અસર:

    1. બાળકના અંતરમાંથી કુટુંબના વડીલો પ્રત્યેનો આદર ટળી જાય છે. સંપ્રદાયનો તથા સંતો-ભક્તોના મહિમા નો દિવ્યભાવ નાશ થઈ જાય છે. જેથી તેને તેમની સાથે રહેવા જોડાવાનો સ્વભાવ રહેતો નથી. જેનું પછી તેને બહુ મોટું નુક્શાન ભોગવવું પડે છે.

ભૂલ: 4
માતા-પિતા પોતે ઘરમાં, વ્યવહારમાં કે સત્સંગમાં પણ ખોટું બોલતા હોય છે કે ખોટું કામ કરતા હોય છે.

અસર:

    1. બાળક પોતે પણ ખોટું બોલતા ખોટું કરતાં શીખે છે. પછી મોટા થઈને પોતાના માતા-પિતાને પણ ખોટું બોલી છેતરે છે અને અંતે કુસંગી થઈ જાય છે.

ભૂલ: 5
માતા-પિતા બાળકને જ ઉપદેશ આપ્યા કરે, પણ પોતે પોતાનું વર્તન સુધારે નહીં.

અસર:

    1. વર્તન વગરની વાતોની બાળકને કોઈ જ અસર થતી નથી; ઊલટાનો અભાવ આવે છે.

ભૂલ: 6
માતાની કોઈપણ વાત બાળક ન માને ત્યારે તેને ધમકી આપે કે, 'તારા પપ્પાને કહેવા દે, પછી તને ભાન પડશે.' અથવા તો એમ કહેે, 'તારા સંચાલક કે સંતોને તારી ફરિયાદ પહોંચાડું છું. પછી જોજે, તારો બરાબરનો વારો પડશે.'

અસર:

    1. બાળકને વારંવાર ધમકી આપવાને કારણે નાનપણથી જ તે તેના પિતાથી ડરીને દૂર રહેવા લાગે છે. સંતો ભક્તોનો પણ ડર લાગવા લાગે છે. તેથી તેમની નજીક જઈ શકતો નથી પરિણામે તે સત્સંગી ગણાતો હોવા છતાં તેને સંતો-ભક્તો સાથે દિલથી જોડાણ થઈ શકતું નથી.

ભૂલ: 7
અમુક માતા પિતાની નોકરી-ધંધો એવો હોય છે કે, તેના જેવા જ સ્વભાવ-વાણી-વર્તન ઘરે પણ રહે છે.

અસર:

    1. આવા સ્વભાવથી બાળકને પોતાના માતા-પિતા સાથે દિલથી હેત થતું નથી. તેથી તેમની કોઈ વાત મનાતી નથી.

વાલીના વાણી-વર્તનને ઉપયોગી બનાવવાના ઉપાયો:

  1. ઘરનું વાતાવરણ કંકાસ અને કજિયાથી રહિત રાખવું. જો માતા-પિતાને અથવા અન્ય સભ્યોને ક્યારેક કોઈ બાબતમાં મતભેદ થાય તો તેમણે છોકરાઓની હાજરીમાં વાદ-વિવાદ ન કરવો. તે વખતે તો બેમાંથી એકે નમી જવું અને પછી એકાંતમાં જઈ વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લેવો.
  2. માતા-પિતાએ પોતે પોતાનાં વાણી-વર્તનને પ્રામાણિક, સદાચારી અને સત્સંગીને શોભે તેવા રાખવા તો તેમાંથી બાળક પણ તેવું જ શીખશે.
  3. ઘરમાં રોજ ગંગાસતી વગેરેના ભજન તથા કથા-કીર્તન વગાડવા. બાળકને નાનપણથી જ નરસિંહ મહેતા, સખુબાઈ, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો-ભક્તોના આખ્યાનો સંભળાવવા. ભગવાન તથા સંતો-ભક્તોની નિષ્ઠા, મહિમા અને એમને રાજી કરવાની તમન્ના દ્રઢ કરાવતા રહેવું; તો નાનપણથી જ સંતાનના મન પર તેવા સંસ્કારો પડે છે.
  4. સંતાનને જ્યારે માતા-પિતા પ્રત્યેસારી ભાવના હોય ત્યારે જો સમજાવવામાં આવે તો તેની ખૂબ સારી અસર થાય છે. બીજા બાળકોને સંતો પ્રત્યક્ષ કે વિડીયોમાં રાજીપો આપતા હોય તે બતાવી પ્રેરણા લેવાનું શીખવવું વગેરે....
  5. નોકરી ધંધાથી ઘરે આવ્યા બાદ પતિ, પિતા કે પુત્ર તરીકે પોતાની જે કાંઈ ફરજ હોય તે પ્રેમથી બજાવતા રહેવું. જેથી ઘરનું વાતાવરણ બહુ સારું રહે અને પોતાના સંતાનો પણ તેમાંથી સારા સંસ્કાર શીખતા રહે.
  6. પોતાનો દીકરો કે દીકરી, નાના કે મોટા કોઈ સંતાનને અન્યાય ન થઈ જાય તેમ મા-બાપે સદા તટસ્થ રહેવું જોઈએ. દરેકને યોગ્ય હોય તેટલા પ્રેમ, હુંફ, બળ કે ઠપકો આપતા રહેવું જોઈએ.
  7. માતા-પિતાએ બાળકોને સારા સંસ્કાર આપવાનો સર્વોત્તમ ઉપાય એટલે = ઘરસભા

ઘરસભા કરવાથી કેવા કેવા ફાયદા થાય છે?

  • કૌટુંબિક ફાયદા :

ફાયદો: 1
કુટુંબમાં સંપ, શાંતિ અને આત્મીયતાનું વાતાવરણ જળવાઈ રહે. ઘરમાં પરસ્પર કાંઈક મનદુઃખ થયું હોય, કોઈ ગેરસમજ થઈ હોય, કોઈને કોઈનો અભાવ આવ્યો હોય તો તે દૂર થઈ જાય.
ફાયદો: 2
કોઈ પણ સભ્યને દિવસ દરમિયાન થયેલ સ્ટ્રેસ, તણાવ, ચિંતા ઘટી જાય છે અને અગત્યના પ્રશ્નો અને સમૂહમાં ચર્ચવાથી વધુ સારા નિર્ણય આવી શકે છે.

  • સંસ્કાર અંગેના ફાયદા :

ફાયદો: 1
બાળકોમાં નાનપણથી જ શુભ સંસ્કાર પડે છે. ભગવાન અને સંતો પ્રત્યે શ્રદ્ધા, મહિમા, નિષ્ઠા અને ભાવનાના બીજ રોપાય છે.
ફાયદો: 2
બાળકોમાં સારા ગુણ, આવડત, કળા વિકસે છે.

  • આધ્યાત્મિક ફાયદા :

ફાયદો: 1
ઘરના સભ્યોને ઈષ્ટદેવ તથા સંતો ભક્તોમાં નિષ્ઠા, દિવ્યતા અને હેત વધે છે. જેથી તેમની આજ્ઞા કે મરજી મુજબનું જીવન બનાવી શકાય છે.
ફાયદો: 2
પરસ્પર સંપ રહેવાથી તેમની આજ્ઞા પાળવાની તથા સેવા કરવાની તક ઝડપી ખૂબ રાજીપો રળી શકાય છે.

ઘરસભામાં શું સાવધાની રાખવી જોઈએ?

  1. કોઈ એક જ વ્યક્તિએ બોલ બોલ ન કરવું, પણ જરૂર પૂરતા સૌને સાંભળવા.
  2. રાગ-દ્વેષ કે પક્ષાપક્ષીમાં તણાઈ ને કોઈની પર આક્ષેપ કરી તેને ઉતારી ન પાડવા. વાદ-વિવાદ નહીં પણ સ્નેહભર્યો સંવાદ રાખવો.
  3. સભાના સમયનો કે કાર્યક્રમ નો જડતાભર્યો આગ્રહ ન રાખવો. સૌને ફાયદો થાય તથા અનુકૂળતા આવે તેમ કરવું.
  4. સભામાં કોઈ સંતો-ભક્તો, વડીલ કે ગેરહાજર સભ્યોની નેગેટિવ ચર્ચા ન કરવી.
  5. નાના સભ્યોએ મોટાની માન-મર્યાદા જળવાઈ તે રીતે વાતચીત કરવી ને તેવું વર્તન રાખવું.