
આપણે મુમુક્ષુ ભક્ત આત્માઓ છીએ. વર્ષોથી ભગવાનને માનીએ-ભજીએ છીએ. ઘણા તો જન્મોથી કે યુગોથી ભજતા હોઈશું; છતાં હજુ પુરુષોત્તમને પામી કેમ ન ગયા ? પ્રભુ આપણા ઉપર એટલા બધા રાજી કેમ ન થઈ ગયા કે વશ થઈ જાય.!!
ગઢપુરવાસી દાદાખાચર-જસુબા, લાડુબા-જીવુબા અને ગોપાળાનંદ સ્વામી-મુક્તાનંદ સ્વામી તો પ્રભુને અત્યંત વહાલા બની ગયાં હતાં. એમનું એવું શું રહસ્ય છે કે તેમને વાલમજી વશ થઈ ગયા ?
જેમ એક બાળક હોય તે ભૂખ્યું કે બીમાર થાય ત્યારે ગમે તે વ્યક્તિ પાસે મદદ માંગે તો મળે કે ન પણ મળે, પરંતુ તે જેનો સંપૂર્ણ સ્વીકાર કરી વિશ્વાસ રાખતો હોય એવાં તેનાં મા-બાપ પાસે જઈ જે જે જરૂરી હોય તે માંગે તો ? અવશ્ય મળે. અરે ! તેનાં
જેમ ભિખારી જ્યાં સુધી મનમાની ભીખ ન મળે ત્યાં સુધી ઘર કે વ્યક્તિ બદલ્યા કરે છે. પછી કાંઈક મેળવી ખુશ થઈ જાય છે. પરંતુ આખી જિંદગી ભિખારી જ રહે છે. એક દીકરો, એક શિષ્ય કે એક વિદ્યાર્થી એકની નિષ્ઠા રાખી તેનો થઈને જીવે છે, તો તે બાપ પાસે જે હોય તે બધી સંપત્તિનો માલિક બને છે. તે શિષ્ય પાસે જે હોય એ બધી સાધુતાની અને પ્રભુની પ્રાપ્તિ પામે છે. તે વિદ્યાર્થી ટીચર કે પ્રોફેસરની તમામ વિદ્યા અને અનુભવોનો વારસ બને છે.
આ બાબતમાં આપણું કેમ છે ? માન-અપમાન, સુખ-દુ:ખ કે સાનુકૂળતા-પ્રતિકૂળતા આવે તેમાં એકધારી શ્રીહરિ અને સંતની નિષ્ઠા રાખીએ છીએ ? દાદાખાચર, મોટીબા અને મુક્તાનંદ સ્વામી આખી જિંદગી એવી અનન્ય નિષ્ઠા રાખીને જીવી ગયાં એટલે ભગવાન શ્રીહરિ તેમને વશ થઈ ગયા. તેમણે ક્યારેય શ્રીહરિ તથા સંતનો અભાવ લીધો જ નહીં. કોઈ પણ સંજોગોમાં અવળું તો વિચાર્યું જ નહીં. અઘરામાં અઘરી પરીક્ષામાં પણ એકનિષ્ઠામાં ફેર પડવા દીધો જ નહીં, એટલે તેનાં સર્વે કામ શ્રીહરિએ સામેથી કરી આપ્યાં. આપણે પણ એવી અનન્ય નિષ્ઠા પાકી કરવાની જરૂર છે. શબરીબાઈએ ગુરુના વચનમાં વિશ્વાસ રાખી જીવનભર રામની રાહ જોઈ તો પ્રભુ શ્રીરામ સામેથી તેના આંગણે પધાર્યા. શબરીને ધન્ય ધન્ય બનાવી દીધાં.
હિંમતનગર પાસે અરોડા ગામમાં એક મોહનબાપા થઈ ગયા. તે દરરોજ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરે, માનસી પૂજા કરે; તેમાં જ્યારે ગદગદ્ભાવ થઈ જાય, હૃદયમાં પ્રેમ ઊભરાય ત્યારે જ પૂજા પૂરી થઈ એવું સમજતા. આપણે તો ઘડિયાળના કાંટે ૫-૨૫ મિનિટ થાય એટલે પૂજા થઈ ગઈ માની લઈએ છીએ. એમ જ બીજી બધી બાબતો પ્રભુપ્રેમ વિના કરીએ તો પ્રભુને દોડીને આવવાની જરૂર જ શું પડે ? માટે વહાલા ભક્તો ! આપણા સત્સંગ-ભજનમાં પ્રભુ તથા પ્રભુના પ્યારા સંતો-ભક્તોમાં સાચો પ્રેમ વધારવાની ખૂબ જરૂર છે.
હજુ એક ત્રીજી બાબત સુધારવાની જરૂર છે — સકામભાવના-સ્વાર્થવાળી ભક્તિ.
શબરીબાઈએ કેવળ ભગવાન માટે જીવનભર ભગવાનની રાહ જોઈ, સેવા-ભક્તિ કરી એટલે રામ આવ્યા. પ્રભુ મળ્યા પછીય પ્રભુ પાસેથી તેણે બીજું કાંઈ જ ન માંગ્યું. ગોપીઓએ શ્રીકૃષ્ણ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું, પરંતુ પ્રભુ પાસેથી પ્રભુ સિવાય બીજી કોઈ જ આશા નહોતી રાખી એટલે વહાલો વશ થયા. મોટીબા-લાડુબા અને દાદાખાચર જેવા મુક્તો મહારાજ વિના જીવી જ ન શકે તેવાં મહાપ્રેમી હતાં. મહારાજનો વિયોગ થાય તો અન્ન-જળ છૂટી જાય, એટલે શ્રીહરિને તત્કાળ ત્યાં પહોંચવું પડતું. વળી, પ્રભુ પ્રાપ્ત થયા પછી પ્રભુ પાસેથી તેમને બીજી કોઈ જ આશા નહોતી. શ્રીહરિ તથા સંતોની સેવા માટે જ તે શ્રીહરિ તથા સંતોને માનતાં, સેવતાં, ભજતાં અને સર્વસ્વના ભોગે તેમને રાજી રાખવા ચાહતાં. એટલે જ તેમને ક્યારેય પણ શ્રીહરિ કે સંતોનો અભાવ ન આવ્યો. ગમે તેટલી વાર અઘરામાં અઘરી કસોટી કરી તોપણ સવળું જ લીધું. રડી-રડીને એક પ્રભુને રાજી રાખવાનું જ ચાહતાં હતાં.