નવો ભાવ...નવી શ્રદ્ધા...

નવો ભાવ...નવી શ્રદ્ધા...

શ્રીકૃષ્ણ ભગવાન દુર્યોધનના મેવા ત્યજીને વિદુરની ભાજી જમ્યા; રામચંદ્ર ભગવાને પ્રેમી શબરીનાં એઠાં બોર ખાધાં; ભાડેર ગામમાં પાતળભાઈનાં ઘરનાએ શ્રીજીમહારાજને ભૂલથી પણ પ્રેમથી, દૂધને બદલે છાશ આપી અને તે સાકર નાંખેલ દૂધ જેવી મીઠી લાગી; કુંડળધામની બાજુમાં આવેલ બરવાળાનાં એક બહેને મજૂરી લઈને પણ ભાવથી સ્વામિનારાયણ મંદિરમાં ગારથી લીંપવાનું કામ કર્યું, તો શ્રીજીમહારાજે તેમનું કલ્યાણ કર્યું; ગોખરવાડા ગામના દૂબળી ભટ્ટના શ્રદ્ધાથી આપેલ નવ દોકડાથી ગઢપુર મંદિરના શિખરના કળશ ચઢી ગયા. વહાલા ભક્તો ! આ બધા પ્રસંગો શું સૂચવે છે ? એ જ કે ભગવાન ભાવના ભૂખ્યા છે.

આપણા વહાલા શ્રીજીમહારાજ અને તેમના સંતો-ભક્તોને રાજી કરવા આપણે વિવિધ સેવા-ભક્તિ કરીએ છીએ. મહારાજ અને સંતો માટે ઘણી વાર કાંઈક નવું નવું કરીએ છીએ. જેમ કે, તેમને જમાડવા નવી વાનગી બનાવીએ, મહારાજ માટે નવા વાઘા બનાવીએ, એમને આનંદ આપવા નવીન પ્રોગ્રામ કરીએ વગેરે... આ બધું સારું છે, એ ભક્તિ જ છે; પરંતુ ખરેખર, ભગવાન પોતાના ભક્તનું શું જોતા હોય છે ? પ્રેમ, ભાવ અને શ્રદ્ધા.

કોઈ સંત કે ભક્તની સેવા કે કોઈ વિશિષ્ટ કાર્ય જોઈને શ્રીજીમહારાજ રાજી થતા અને અત્યારે પણ પૂ.ગુરુજી જેવા મોટા સંત રાજી થાય છે, પરંતુ તે બધામાં બારીકાઈથી જોઈએ તો રાજીપાનું કારણ જે તે સંત-ભક્તનાં ભાવ કે શ્રદ્ધા જ હોય છે. માટે વહાલા ભક્તો ! નવું નવું શીખવું જોઈએ, પણ ભાવ અને શ્રદ્ધા નવાં ને નવાં જ રહે, તે શીખવાની પહેલી જરૂર છે.

શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પરમાત્મા ભક્તિ-ભાવનો મહિમા કહેતાં અર્જુનને કહે છે કે,

पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति।
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मन:।।

હે અર્જુન ! જેને મને પ્રસન્ન કરવા સિવાયનું બીજું કાંઈ પ્રયોજન જ નથી; એવો મારો એકાંતિક ભક્ત તુલસીનું પત્ર, પુષ્પ, ફળ, જળ કે તે સિવાયની કાંઈ પણ નાની-મોટી વસ્તુ મને અતિ હેતથી અર્પણ કરે છે; તે બધું હું અતિ પ્રસન્ન થઈને સ્વીકારું છું.

જે કોઈ ભાવ અને શ્રદ્ધાથી સેવા કરે છે, તેને પોતાને અને તેની સાથેના સૌને અલૌકિક આનંદ આવે છે, ને ભગવાનને પણ તે બહુ ગમે છે. અને ખરેખર, તેવી સેવા જ કલ્યાણકારી થાય છે.

શ્રીકૃષ્ણ ભગવાન પોતાના વહાલા ઉદ્ધવજીને કહે છે કે,

અંતર લૂખું હૃદય સૂકું, વળી નેહ નહીં જેના નેણમાં;
ઉદ્ધવજી હું ત્યાં ન રહું, મર ધ્યાન ધરે દિન રેણમાં.

ભાવ, પ્રેમ અને શ્રદ્ધા ભગવાનને અતિશય ગમતા ગુણો છે, પરંતુ તેમાં માન, ઈર્ષ્યાદિક ભળી ન જાય તેની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, નહિ તો એના એ જ ગુણો આપણા જેવી જ સેવા કરનારાનો અભાવ-અવગુણ લેવડાવે; એટલે જ શ્રીજીમહારાજે ગ.મ.ના ૫૨માં વચનામૃતમાં કહેલ છે કે, અમને ઈર્ષ્યારહિત અને શ્રદ્ધા સહિત સેવા-ભક્તિ કરે તે ગમે છે.

ચાલો, વહાલા મહારાજને પ્રાર્થના કરીએ કે,

તવ સેવા ભજનમાં હે માવ !
આપજો સદા શ્રદ્ધા ને ભાવ;
માન ઈર્ષ્યાનો કરજો નાશ,
આપજો મહિમા ને દિવ્યભાવ.